Our News Speaks

News for You | News for Everyone.

Today's News

Image

બટેટાના ભાવમાં સેન્સેક્સ જેવો ઉછાળો, પ્રતિ કિલોનો ભાવ રૂા.50 એ પહોંચ્યો


- કોલ્ડ સ્ટોરેજના સ્ટોકમાં પણ થઈ રહેલો ઘટાડો

- બટેટાના વિકલ્પમાં અન્ય શાકભાજીનું વેચાણ વધ્યુ : છેલ્લા એક માસથી ધીમી પણ મક્કમ ગતિએ સતત વધી રહેલા બટેટાના ભાવને લઇ ગૃહિણીઓમાં દેકારો

ભાવનગર : લીલા શાકભાજીના રાજા ગણાતા બટેટા ભાવ છેલ્લા સપ્તાહથી સડસડાટ રીતે આસમાનને આંબેલા રહેતા મધ્યમવર્ગીય ગૃહિણીઓમાં દેકારો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા સહિત રાજયના કેટલાક સ્થળોએ આ વર્ષે માવઠાની આગાહી વચ્ચે બટેટાનું નબળુ ઉત્પાદન થતા તેને લઈને તેનો સ્ટોક પણ પ્રમાણમાં દિન પ્રતિદિન ઘટતો જતા હાલ બટેટા મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે. 

છેલ્લા એકાદ મહિનામાં ભાવનગર શહેરની મુખ્ય શાકમાર્કેટ ઉપરાંત પરા વિસ્તારોની શાક માર્કેટમાં બટેટાના ભાવમાં અંદાજે ૩૦ થી ૫૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. છુટક માર્કેટમાં બટેટા રૂા ૩૫ થી લઈને રૂા ૫૦ ના પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.બટેટાના ભાવનો સ્ટોક ક્રમશ ઘટી રહ્યો હોય નજીકના ભવિષ્યમાં હજુ પણ બટેટાના ભાવમાં ઉછાળો આવે તેવી સ્થાનિક વિક્રેતાઓએ શકયતા દર્શાવી છે. આ વર્ષે માવઠાની આગાહી વચ્ચે ગુજરાત રાજયમાં બટેટાની ખેંચ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આજથી થોડા સમય અગાઉ રોગચાળાને લઈને બટેટાના પાકનો  ઉતારો નબળો રહ્યો હતો.પાલનપુર અને બનાસકાંઠા અને ડિસા સહિતના પંથકમાં સુકારો અને રોગચાળાને લઈને બટેટાના પાકમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે. તેથી જ ગત વર્ષ કરતા આ વખતે  સૌરાષ્ટ્રના કોલ્ડ સ્ટોરેજના સ્ટોકમાં પણ બટેટાના સ્ટોકમાં હજજારો કટ્ટા માલ ઓછો નોંધાઈ રહ્યો છે. એટલે તેની અસર આગામી દિવસોમાં બજારમાં જણાશે. સીધા વપરાશમાં લઈ શકાય તેવા બાદશાહ અને પુખરાજ સહિતની વેરાયટીઓનો સ્ટોક ઓછો થઈ રહ્યો છે. જે ભવિષ્યમાં બટેટાની અછતની અનુભૂતિ કરાવશે. ભાવનગરની બજારોમાં બટેટાના ભાવમાં તેજી આવી ગયેલ છે. સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટીંગ યાર્ડોમાં જથ્થાબંધના ભાવે અગાઉ કિલોએ રૂા ૧૦ થી ૨૫ માં વેચાતા બટેટાના ભાવ અત્યારે રૂા ૨૦ થી ૩૦ આસપાસ થઈ ગયા છે જયારે છુટક બજારમાં બટેટા કિલોએ રૂા ૩૦ થી ૫૦  વચ્ચે પહોંચી જતા મધ્યમવર્ગીય ગૃહિણીઓના કિચન બજેટ ખોરવાઈ ગયા છે. બટેટા મોંઘાદાટ થતા ગૃહિણીઓ હાલ પૂરતુ તેની ખરીદી ટાળી અન્ય સસ્તા શાકભાજી તરફ વળી રહેલ છે. સામાન્ય રીતે બટેટાનો જંગી જથ્થો શાકભાજી ઉપરાંત ચિપ્સ, વેફર તેમજ તીખા બટેટા સહિતના ફાસ્ટફૂડમાં વપરાય છે. બટેટાના ભાવ આસમાનને આંબી જતા ભાવનગરમાં તીખા બટેટાના ભાવમાં પણ વધારો થયો છે.

બટેટાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

લગભગ તમામ શાકભાજીને મિકસ કરીને બટેટાનું શાક તૈયાર કરી શકાય છે. વિટામીન બી કોમ્પ્લેક્ષ અને સી તથા મિનરલ્સથી ભરપૂર એવા રોગ પ્રતિકારક શકિતથી ભરપુર બટેટામાં કાર્બોહાઈડ્રેટસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આર્યન, ઝીંક, સોડિયમ, કેલ્શિયમ, વિટામીન સી અને ફાયબર જેવા તત્વો હોય છે જે સ્વાસ્થ્ય અને ત્વચા બંનેની દ્રષ્ટિએ ખુબ જ ફાયદાકારક છે. 

Image

લોકસભાની ચૂંટણી આડે માત્ર 10 દિવસ રહ્યા છતા નિરશ માહોલ


- 7 મેએ ત્રીજા તબક્કામાં ભાવનગર સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 

- ચૂંટણી માહોલ નહીં જામતા રાજકીય લોકોની ચિંતા વધી, સ્ટાર પ્રચારકો આવશે ત્યારબાદ ચૂંટણી માહોલ જામશે તેવી ચર્ચા  

ભાવનગર : લોકસભાની સામાન્ય ચૂંટણી આડે હવે ગણતરી દિવસો રહ્યા છે પરંતુ રાજકીય માહોલ નિરશ જોવા મળી રહ્યો છે. ભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવારો અને રાજકીય પાર્ટીના કાર્યકરો પ્રચાર કરે છે પરંતુ માહોલ જામતો નથી. ચૂંટણી માહોલ નહીં જામતા રાજકીય લોકોની ચિંતા વધી છે. સ્ટાર પ્રચારકો આવશે ત્યારબાદ ચૂંટણી માહોલ જામશે તેવી ચર્ચા હાલ કાર્યકરોમાં થઈ રહી છે. 

ચૂંટણી આવતા જ રાજકીય માહોલ ગરમાતો હોય છે અને રાજકીય કાર્યકરો ઉત્સાહમાં જોવા મળતા હોય છે. ચૂંટણીના પગલે લોકોમાં પણ ચર્ચાનો માહોલ જામતો હોય છે પરંતુ હાલ ભાવનગર લોકસભા બેઠક પર ચૂંટણી માહોલ જામતો ન હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ગત તા. ૧૬ માર્ચના રોજ લોકસભાની ચૂંટણી જાહેર થતા આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. આગામી તા. ૭ મેના રોજ ભાવનગર સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનુ મતદાન થશે. ચૂંટણી આડે માત્ર ૧૦ દિવસ જ રહ્યા છે પરંતુ રાજકીય માહોલ જામતો નથી તેથી રાજકીય લોકોની પરેશાની વધી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પાર્ટીના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. રાજકીય પાર્ટીના આગેવાન-કાર્યકરો પણ પ્રચારમાં લાગી ગયા છે પરંતુ મતદારોમાં હજુ ઉત્સાહ દેખાતો નથી તેથી રાજકીય ઉમેદવારો મુંઝવણમાં મુકાયા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. 

લોકસભાની ચૂંટણીના પગલે આગામી થોડા દિવસોમાં પ્રચાર કરવા માટે જુદી જુદી રાજકીય પાર્ટીના મોટા નેતાઓ આવવાના છે અને ચૂંટણી સભાઓનો ધમધમાટ જામશે, જેના પગલે રાજકીય માહોલ જામશે તેમ હાલ રાજકીય કાર્યકરોમાં ચર્ચાય રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ગામડાઓમાં ગ્રામ પંચાયત અને શહેરમાં મહાપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં ખરાખરીનો ચૂંટણી જંગ જામતો હોય છે. નાની ચૂંટણીમાં મતદારોને વધુ રસ દેખાતો હોય છે, જયારે મોટી ચૂંટણીમાં મતદારોને થોડો રસ ઓછો હોય તેમ જણાય રહ્યુ છે. લોકસભાની ચૂંટણીના અંતિમ દિવસોમાં રાજકીય માહોલ જામે છે કે નહીં ? તે જોવુ જ રહ્યું. હાલ મતદારોનો મુડ જાણી શકાતો નથી તેથી રાજકીય પાર્ટીના આગેવાનો પણ પરિણામને લઈ ચિંતીત હોવાનુ ચર્ચાય રહ્યુ છે. 

Image

આંગણવાડી દ્વારા માસુમ બાળકોને અપાયેલા ભોજનમાં ઈયળો નિકળતા હોબાળો


- કુપોષણદર ઘટાડવાની યોજના શોભાના ગાંઠીયા સમાન 

- ગારિયાધારના મોટી વાવડીના બનાવથી તંત્રમાં દોડધામ, આંગણવાડીના સંચાલકને નોટીસ અપાઈ

ગારિયાધાર : ગારિયાધાર તાબેના મોટી વાવડી ગામના પ્લોટ વિસ્તારમાં ચાલતા આંગણવાડી કેન્દ્ર નં.૧ ખાતે શુક્રવારે માસુમ બાળકોને અપાયેલા ભોજનમાં ઈયળો નિકળતા આ બાબત ધ્યાને આવતા બાળકોના વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે જાણ કરાતા આઈ. સી. ડી. એસ. વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ મુલાકાત માટે દોડી ગયા હતા અને આંગણવાડીના સંચાલકને નોટીસ આપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

મોટી વાવડી ગામની આંગણવાડીમાં માસુમ બાળકોને અપાયેલા ભોજનમાં ઈયળો નિકળતા તંત્રવાહકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.જો કે, ખોબા જેવડા આ ગામમાં નાના ભૂલકાઓના આરોગ્યના આ મહત્વના પ્રશ્ને વાત વાયુવેગે ચોતરફ ફેલાઈ જતા મોટામસ હોબાળા બાદ તંત્રમાં પણ જાણ થતા આઈ.સી.ડી.એસ. વિભાગના મોટી વાવડી ગામના સુપરવાઈઝર દ્વારા સ્થળ તપાસ તથા ઘટના બાબતે વિઝીટ કરીને આંગણવાડીના સંચાલકને નોટીસ આપી ઘટના બાબતે ખુલાસાઓ માંગ્યા હોવાનું સુપરવાઈઝર દ્વારા જાણવા મળ્યુ હતુ. જયારે એકબાજુ સરકાર તથા તંત્ર બાળકોમાં ચાલી રહેલ કુપોષણદર ઘટાડવા તથા આરોગ્ય મજબુત કરવા લખલૂટ ખર્ચાઓ કરી વ્યાપક પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર કરી રહેલ છે ત્યારે પાછળના બારણે આવી ઘટનાઓ પ્રકાશમાં આવતા તમામ યોજનાઓ જાણે કે, શોભાના ગાંઠીયા સમાન હોય તેમ જાગૃત લોકોને જણાઈ રહ્યુ છે. જયારે આજે મોટી વાવડીમાંથી પ્રકાશમાં આવેલ આ ઘટના બાબતે તંત્રની કયા કચાશ રહી ગયેલ છે અને તે બારામાં આગળની શુ કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યુ.

Image

ભાવનગરમાં વહેલી સવારના માવઠાએ દિવસભર ઠંડક આપી


- શહેરના જુદાં-જુદાં વિસ્તારમાં પરોઢિયે વરસાદ પડયો

- મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું

ભાવનગર : ઉનાળાની આકરી ગરમી વચ્ચે ભાવનગરમાં આજે વહેલી સવારે ઝરમર વરસાદ પડયો હતો. આજે દિવસ અને રાતના તાપમાનમાં વધારો થવા છતાં દિવસ દરમિયાન ગરમીમાં થોડીક રાહત રહી હતી. આજે મહત્તમ તાપમાનમાં ૦.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં ૦.૪ ડિગ્રી જેટલો સામાન્ય વધારો નોંધાયો છે. પરંતુ વહેલી સવારના ઝરમર વરસાદે ગરમીમાં રાહત આપી હતી. જોકે ભાવનગર શહેર સિવાય જિલ્લામાં ક્યાંય વરસાદના અહેવાલ નથી.

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના ઘણાં જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે પરંતુ આ આગાહી પહેલા જ આજે વહેલી સવારે ભાવનગરમાં ઝરમર વરસાદનું એક ઝાપટું આવતા વહેલી સવારે ચોમાસા જેવો માહોલ અનુભવાયો હતો. ભરઉનાળે શહેરના સિંધુનગર, કુંભારવાડા, ચિત્રા, ભરતનગર, વાઘાવાડી રોડ, યુનિવર્સિટી આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડયો હતો. વહેલી સવારના માવઠાના કારણે દિવસ દરમિયાન ગરમીમાં રાહત મળી હતી. ગત રોજની સરખામણીએ આજે મહત્તમ તાપમાન ૦.૨ ડિગ્રી જેવા સામાન્ય વધારા સાથે ૩૭.૭ ડિગ્રી તથા લઘુતમ તાપમાન ૦.૪ ડિગ્રીના વધારા સાથે ૨૮ ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૪૬ ટકા હતું જે બપોર સુધીમાં ઘટી ૨૯ ટકા રહ્યું હતું. તેમજ આજે પવનની ગતિ ૧૨ કિમી પ્રતિકલાકની રહી હતી. વહેલી સવારના માવઠાને કારણે શહેરીજનોને આજે ગરમી આકરી નહોતી લાગી. ભાવનગરમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૩૭.૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૭.૬ ડિગ્રી નોંધાયું હતું. ભાવનગર શહેર સિવાય જિલ્લામાં ક્યાંય વરસાદના અહેવાલ નથી પરંતુ ઘોઘા તેમજ ભાવનગરની આજુબાજુના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાતાવરણમાં અચાનક આવેલા આ ફેરફારથી આગામી દિવસોમાં ભાવનગરના તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ આગામી સાત દિવસ સુધી વાદળછાયું વાતાવરણ પણ રહેશે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકોને નુકસાન થવાની વકી રહે છે પરંતુ આજે ભાવનગરના ગ્રામ્યપંથકોમાં કમોસમી વરસાદ નહી પડવાથી ખેડૂતોને મોટી રાહત મળી છે.

Image

રૂપાલા-ભાજપ વિરૂદ્ધ ક્ષત્રિય મહિલાઓના ઉપવાસ, ભાવનગરના મહારાણીએ પારણાં કરાવી લડતને સમર્થન જાહેર કર્યું


- ભાવનગરમાં ગોહિલવાડ મહિલા ક્ષત્રિય રાજપૂત સમાજના નેતૃત્વમાં 50 મહિલાઓએ કર્યા પ્રતિક ઉપવાસ

- ક્ષત્રિય મહિલાઓની લડતમાં અન્ય સમાજની મહિલાઓ પણ  જોડાઈઃ ગાયત્રી હવન સાથે ભાજપને મત નહીં આપવા સામૂહિક શપથ લેવાયા 

ભાવનગર : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોેત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે શરૂ કરેલાં નવતર અને આક્રમક વિરોધના ભાગરૂપે આજે ભાવનગરમાં ૫૦થી વધુ ક્ષત્રિય મહિલાઓેએ પ્રતિક ઉપવાસ કરી આગામી તમામ ચૂંટણીઓમાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાના શપથ લીધા હતા.જો કે, સાંજે ભાવનગરના મહારાણીએ ઉપવાસી મહિલાઓને પારણાં કરાવી તેમની લડતને સમર્થન જાહેર કર્યું હતું. આ સાથે ક્ષત્રિય મહિલાઓએ આગામી ૭મી મે સુધી ધર્મરથ, ભાજપ વિરૂદ્ધ મતદાન જાગૃતિ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી હતી.

ભાજપના નેતા અને ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદીત અને અભદ્ર ટિપ્પણીનો મુદો હવે રૂપાલા કે રાજકોટ પુરતો સિમિત ન રહેતાં રાજ્યવ્યાપી બનવાની સાથોસાથ સત્તાધારી ભાજપ માટે ગળાના હાડકા સમાન બન્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા પ્રારંભિક તબક્કામાં રૂપાલા સામે શરૂ કરાયેલો વિરોધ હવે નોંધપાત્ર ક્ષત્રિય મતદારો ધરાવતી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારોને પણ સહન કરવાનો આવ્યો છે. બહુમત ક્ષત્રિય મતદારો ધરાવતી ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવારને છેલ્લા એક સપ્તાહથી જયાં જયાં પ્રચારમાં જાય ત્યાં ક્ષત્રિય વિરોધની આગમચેતીના કારણે રૂટ બદવાની ફરજ પડવાની લઈ પૂર્વનિયોજિત સભા, બેઠક મુલ્તવી રાખવા સુધીની નોબત આવી છે. તો તેમના ટેકેદારો પ્રચારમાં જાય તો ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવાની ફજ પણ પડી હોવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. 

દરમિયાનમાં રૂપાલા સહિત સમગ્ર ભાજપ સામે વિરોધનું રણશીંગું ફૂકનાર ક્ષત્રિય સમાજના સંગઠન ગોહિલવાડ મહિલા ક્ષત્રિય રાજપૂત સમાજ, ભાવનગર દ્વારા આજે ભાવનગર શહેરના મિલેટ્રી સોસાયટીમાં આવેલ બજરંગદાસ હોલ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનના શિર્ષક તળે પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા.પૂર્વ નિર્ધારિત જાહેરાત મુજબ આજે સવારથી જ ક્ષત્રિય સમાજના ૫૦થી વધુ મહિલાઓ પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.તો, તેમને સમર્થન આપવા માટે ક્ષત્રિય ઉપરાંત અન્ય સમાજની મહિલાઓએ પણ નોંધપાત્ર સંખ્યામાં હાજરી આપી હતી. ઉપસ્થિત મહિલાઓએ ગાયત્રી મંત્રોચ્ચાર સાથે હવન કર્યો હતો.તેમ  ગોહિલવાડ મહિલા ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ ભૂમિબા ચુડસામાએ વિગતો આપતાં જણાવ્યું હતું. તેમણે આ તકે આ ઉપવાસ થકી ક્ષત્રિય મહિલાઓ દ્વારા ભાજપને નારી શક્તિનો પરચો આપવામાં આવ્યો હોવાનું જણાવી આ લડાઈમાં અન્ય સમાજની મહિલાઓ પણ તેમની સાથે જોડાઈ હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત તમામ મહિલાઓએ આગામી તમામ ચૂંટણીઓમાં ભાજપને મત નહીં આપવા સામૂહિક શપથ લીધા હતા. જયારે,આગામી તા.૭ મે સુધી ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ વિચરણથી લઈ ભાજપ વિરૂદ્ધ મતદાન જાગૃતિ સહિતના યોજાનાર કાર્યક્રમામાં સહભાગી થવાની જાહેરાત કરી હતી. પ્રતિક ઉપવાસના અંતે સાંજે ભાવનગર સ્ટેટના મહારાણી સમયુંક્તાકુમારીદેવીએ કાર્યક્રમ સ્થળે આવીને પ્રતિક ઉપવાસ કરનાર ક્ષત્રિય મહિલાઆને પારણા કરાવ્યા હતા. આ સાથે તેમણે આ લડતમા સમર્થન જાહેર કર્યું હતું. તેમ પ્રમુખ ભૂમિબા ચુડાસમાએ વિગતો આપતાં અંતમાં જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરૂદ્ધના વિવાદી નિવેદનને લઈ ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહે ભાજપમાં રહેલાં રાજપૂતોને ભાજપૂતો કહી રૂપાલાના નિવેદનની આક્રમક ટિકા કરી હતી. બાદમાં આજે મહારાણી દ્વારા લડતને જાહેર સમર્થન અપાતાં સમગ્ર મામલે નવો અને અણધાર્યો વળાંક આવ્યો છે. 

Image

આઝાદીના 7 દાયકા બાદ કોટિયા ગામે એસટી બસ પહોંચી, ગામ લોકોએ સામૈયા કર્યાં


- મહુવા તાલુકાના કોટિયા ગામમાં અનેક રજૂઆતો બાદ બસ શરૂ થતાં ગામમાં ઉત્સવ જેવો માહોલ

- તળાજા અને ઠળિયામાં અભ્યાસ માટે અપ-ડાઉન કરતા 20-22 વિદ્યાર્થીઓ અને 10-12 રત્નકલાકારો સાથે જ ગ્રામજનોને મળશે સુવિધાનો લાભ

ભાવનગર : દેશ આઝાદ થયો તેને સાત દાયકા વિતી ચુક્યા હોવા છતાં હજુ પણ એવા ઘણાં ગામો છે જ્યાં સરકારની ઘણી સુવિધાઓ પહોંચી નથી. હજુ પણ જિલ્લામાં અનેક એવા ગામડાઓ છે જ્યાં સરકારી એસટી બસ પહોંચી નથી. આ સ્થિતિ વચ્ચે મહુવા તાલુકાના કોટિયા ગામે આઝાદીના ૭૭ વર્ષ બાદ પહેલીવાર એસટી બસ આવતા ગામના લોકોએ એસટી બસના સામૈયા કર્યાં હતા અને ડ્રાઈવર કંડક્ટરનું સમ્માન કર્યું હતું. ૮૦૦ લોકોની વસ્તી ધરાવતા આ ગામમા બસ શરૂ થવાથી નાગરિકોને મોટી રાહત મળી છે.

મહુવા, પાલિતાણા, જેસર અને તળાજા એમ ચાર તાલુકાની બોર્ડપ પર આવેલું અને સત્તાવાર રીતે મહુવા તાલુકામાં આવતા કોટિયા ગામમાં આઝાદીના ૭૭ વર્ષ પછી આજે પહેલીવાર એસટી બસ આવતા ગામ લોકોએ એસટી બસનું સ્વાગત કર્યું હતું. ૮૦૦ લોકોની વસ્તી ધરાવતા કોટિયા ગામમાં આજે પહેલીવાર એસટી બસ આવતી હોવાથી ગામ લોકોએ બસનું સ્વાગત કરવાનું નક્કી કર્યું. આજે સવારે જ્યારે તળાજા-કોટિયા રૂટની એસટી બસ ગામમાં ગામ લોકોએ એસટી બસના સામૈયા કર્યાં. કુંવારિકાઓ દ્વારા બસના સામૈયા કરાવ્યા બાદ બસના ડ્રાઈવર અને કંડક્ટર બંનેનું કંકુ-ચાંલ્લો તથા શાલ ઓઢાડીને સમ્માન કરવામાં આવ્યું તેમજ મોં મીઠું કરાવ્યું હતું. તેમજ ગામમાં ગોળ-ધાણા વેચવામાં આવ્યા હતા. આ બસ કોટિયા ગામમાં સવારે ૧૦ વાગ્યા આસપાસ અને સાંજે પાંચ વાગ્યા આસપાર નિયમિત આવશે. આ બસ સેવા શરૂ થવાથી કોટિયા ગામથી તળાજા અને ઠળિયા ગામમાં અભ્યાસઅર્થે અપ-ડાઉન કરતા ગામના ૨૦થી ૨૨ વિદ્યાર્થીઓને તથા વ્યવસાયઅર્થે અપ-ડાઉન કરતા ગામના ૧૦થી ૧૨ રત્નકલાકારોને સુવિધાનો લાભ મળશે. આઝાદી પછીથી ગ્રામ પંચાયતની દરેક બોડીએ બસ માટેની સતત રજૂઆત કરી હતી. કોટિગા ગામના આગેવાનો દ્વારા છેલ્લા ૩ વર્ષથી દર મહિને બે વાર સતત રજૂઆતો બાદ તળાજા ડેપો દ્વારા આ બસ શરૂ થતાં ગામમાં ઉત્સવ જેવો માહોલ હતો.

બસ માટે અમારી રજૂઆત શરૂ રહેશે

કોટિયા ગામના રહેવાસી વહતુભાઈ કામળિયાએ જણાવ્યું કે, લોકશાહી આવ્યા બાદ પહેલીવાર બસ આવતી હોવાથી આપણી સંસ્કૃતિને અનુરૂપ સ્વાગત કરવાનું ગામ લોકોએ વિચાર્યું અને અમે આ સુવિધાને આવકારી, અમારા નાના ગામમાં અત્યારે એક બસ શરૂ થઈ છે. તળાજા ડેપોમાં અમારી સતત રજૂઆતને સફળતા મળી છે. આગામી દિવસોમાં મહુવા ડેપોમાંથી પણ બસ મળે તે માટે સતત રજૂઆતો કરતા રહેશું. ખાસ તો રાતના સમયની એક બસ શરૂ થાય તેવા અમારા પ્રયાસ રહેશે.

Image

સિહોર નગરપાલિકાની લાપરવાહીથી અનેક વિસ્તારોમાં અંધારપટ્ટ


- પાલિકા પાસે સ્ટ્રીટલાઈટના સામાનનો અભાવ

- ગીચ રહેણાંકીય વિસ્તારોની સ્ટ્રીટલાઈટ બંધ રહેતા તસ્કરોને મળી રહેલુ મોકળુ મેદાન

સિહોર : સિહોર નગરપાલિકામાં વહિવટદારનું શાસન આવતા જનતાને અનેક પાયાના પ્રશ્નોની હાડમારી વેઠવી પડે છે. શહેરમાં રાત પડતા કેટલાક વિસ્તારોમાં તો રીતસરના અંધારાના ઓળા ઉતરી આવતા હોય અંધારપટ્ટના કારણે સ્થાનિક રહિશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવ્યો છે. તંત્રની લાપરવાહી નાગરીકોમાં ટીકાને પાત્ર બની રહેલ છે.

છોટે કાશી તરીકે વિશ્વ વિખ્યાત બનેલા સિહોર શહેરની જનતા પ્રાથમિક સુવિધાઓથી વંચિત જણાતા સ્થાનિક રહીશો જ નહિ બલકે બહારગામથી આવતા દર્શનાર્થીઓ, યાત્રિકો તેમજ પરપ્રાંતિય લોકોમાં નગરપાલિકાની કામગીરી સામે પ્રબળ કચવાટ વ્યાપેલ છે. જુના સિહોર શહેરના કેટલાક ગીચ રહેણાંકીય વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો ઘણા સમયથી બંધ થઈ જવા પામેલ છે. જે અંગે નગરપાલિકામાં રહિશો જયારે ફરીયાદ કરવા જાય છે ત્યારે સિહોર નગરપાલિકામાંથી એવો જવાબ આપવામાં આવે છે કે, સ્ટ્રીટલાઈટનો માલ સામાન હાજર સ્ટોકમાં નથી. જેથી સ્ટ્રીટલાઈટો બંધ રહે છે. આવા જવાબો મળતા હોય રહિશોમાં તંત્રની કાર્યપધ્ધતિ સામે રોષ વ્યાપેલ છે. એક બાજુ કાળઝાળ ઉનાળાની સીઝન શરૂ હોય દિવસ દરમિયાન ખુબ જ ધોમધખતી ગરમી પડતી હોય સરીસૃપ અને જીવજંતુઓ બહાર નિકળતા હોય ડંખ મારવાની ભીતિ સેવાઈ રહી છે. અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ બંધ રહેતી હોય જેના કારણે ઉનાળાના દિવસોમાં રાત્રીના અને વહેલી સવારના વોકીંગ કરવા નિકળતા લોકોને તેમજ ખાસ કરીને વાહનચાલકોને અંધારપટ્ટના કારણે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.એટલુ જ નહિ અંધારપટ્ટના કારણે નીશાચરોને મોકળુ મેદાન મળી રહેલ છે. સિહોર નગરપાલિકાનું વહિવટીતંત્ર વહેલી તકે સ્ટ્રીટલાઈટનો માલસામાનનો જરૂરી સ્ટોક વસાવી શહેરમાં પુન અજવાળુ કરે તેવી શહેરીજનોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.

Image

ભાવનગરથી દિલ્હી કેન્ટ સુધી સમર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે


- ઉનાળું વેકેશનમાં મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વેનો નિર્ણય

- સાપ્તાહિક ટ્રેન 3 મે થી 28 જૂન સુધી દોડશે, 27 એપ્રીલથી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર બુકિંગ શરૂ થશે

ભાવનગર : ઉનાળું વેકેશનમાં મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગરથી દિલ્હી કેન્ટ સુધી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવનાર છે જેનું બુકિંગ આવતીકાલથી શરૂ થશે. આ ટ્રેન ૩જી મેથી દર શુક્રવારે ભાવનગર ટર્મિનસથી ઉપડશે અને શનિવારે દિલ્હી કેન્ટ સ્ટેશન પહોંચશે. ભાવનગર અને દિલ્લી કેન્ટ વચ્ચે વિશેષ ટ્રેન ૩ મે થી ૨૮ જૂન સુધી દોડશે.

પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની ઋતુમાં મુસાફરોની સુવિધા માટે ભાવનગર અને દિલ્હી કેન્ટ વચ્ચે વિશેષ સાપ્તાહિક સમર વિકલી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેનને ૩ મે, ૨૦૨૪થી ૨૮ જૂન, ૨૦૨૪ સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નં. ૦૯૫૫૭ ભાવનગર-દિલ્લી કેન્ટ 'સમર વીકલી સ્પેશિયલ ટ્રેન' ભાવનગર ટમનસથી દર શુક્રવારે ૧૫.૧૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૧૩.૧૦ કલાકે દિલ્લી કેન્ટ પહોંચશે. આ ટ્રેન ૩ મે, ૨૦૨૪ થી ૨૮ જૂન, ૨૦૨૪ સુધી ભાવનગર ટમનસ સ્ટેશનથી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૫૫૮ દિલ્લી કેન્ટ-ભાવનગર 'સમર વીકલી સ્પેશિયલ ટ્રેન' દિલ્લી કેન્ટ સ્ટેશનથી દર શનિવારે ૧૫.૨૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૧૨.૨૫ કલાકે ભાવનગર ટમનસ પહોંચશે. આ ટ્રેન દિલ્લી કેન્ટથી ૪ મે, ૨૦૨૪ થી ૨૯ જૂન, ૨૦૨૪ સુધી ચાલશે. એસી ૨ ટાયર, એસી ૩ ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચવાળી આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા (બી), મહેસાણા, પાલનપુર જં., આબુ રોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, ફૂલેરા, રિંગાસ જં., નીમ કા થાના, નારનૌલ, રેવાડી જં. અને ગુડગાંવ સ્ટેશનો પર સ્ટોપ લેશે. તેમજ તા. ૨૭/૦૪/૨૦૨૪ને શનિવારથી આ ટ્રેનનું બુકિંગ પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો તથા આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી થઈ શકશે.

Image

બરવાળા-ધંધુકા રોડ પર ઘાંસચારા વિના ઠાંસીઠાંસીને 9 ભેંસ ભરેલ ટ્રક ઝડપાયો


ગેલેરિયા ચેક પોસ્ટ નજીક બરવાળા પોલીસે વોચ ગોઠવી હતી 

૯ ભેંસને સાચવણી માટે બરવાળા પાંજરાપોળને સુપ્રત ઃ ટ્રક કબ્જે ઃ બે શખ્સની ધરપકડ 

ભાવનગર: બરવાળા-ધંધુકા રોડ પર ગેલેરિયા ચેક પોસ્ટ નજીક વોચમાં રહેલી બરવાળા પોલીસે ઘાંસચારા વિના ઠાંસીઠાંસીને ભરેલી ૯ ભેંસ સાથેનો ટ્રક ઝડપી લીધો હતો. ૯ ભેંસને સાચવણી માટે બરવાળા પાંજરાપોળને સુપ્રત કરાઈ હતી જ્યારે ટ્રક પોલીસે કબ્જે લીધો હતો. આ પ્રકરણમાં બે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. 

 આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર બરવાળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ કરણસિંહ ચાવડા ફરજ પર હતા ત્યારે બરવાળા પોલીસ સ્ટેશનની બન્ને સરકારી મોબાઈલ ગેલેરિયા ચેકપોસ્ટ ખાતે આવેલ હતી અને જણાવેલ કે, ઉપરી અધિકારી તરફથી ચોક્કસ બાતમી મળેલ હોય કે વલ્લભીપુર તરફથી ધંધુકા તરફ ટ્રક નં.જીજે-૦૧-એચટી-૯૮૪૧માં ગેરકાયદે પશુઓ ભરી કતલખાને લઈ જાય છે. જે હકીકત આધારે ગેલેરિયા ચોક પોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી  દરમિયાનમાં, ટ્રક નિકળતા તેમાંથી ભેંસો ટૂંકા દોરડાથી દયનીય રીતે બાંધેલ હાલતમાં જોવામાં આવી હતી. ટ્રકમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા નહોતી. આ ૯ ભેંસને સાચવણી માટે પોલીસે બરવાળા પાંજરાપોળ ખાતે સુપ્રત કરી હતી અને ટ્રક કબ્જે કબ્જે લીધો હતો. પોલીસે અમરેલી જિલ્લાના ચીતલ ગામના દિનેશભાઈ બચુભાઈ વાળા, વિપુલભાઈ ભલાભાઈ વાળા વિરૂદ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમાં પ્રાણીઓની સાચવણી અંગેના અધિનિયમ તથા પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરી બન્નેની ધરપકડ કરી હતી.  

Image

બાઈક અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં યુવકનું કરૂણ મોત


પાળિયાદ-સાયલા રોડ પર રતનપર-નાના છેડા ગામ વચ્ચે

મૂળીના નવાણિયા ગામે ફઈના દીકરાના લગ્ન હોઈ બાઈક લઈને જતા હતા ત્યારે અકસ્માત ઃ ભારે અરેરાટી સાથે આઘાત છવાયો

ભાવનગર: પાળિયાદ-સાયલા રોડ પર રતનપર-નાના છેડા ગામ વચ્ચે બાઈક અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં યુવકનું  મોત નિપજ્યું હતું. આ બનાવથી ભારે અરેરાટી સાથે આઘાત છવાયો હતો. 

 આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર મૂળ તળાજા પંથકના ઊચડી ગામના અને હાલ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નીલવળા તાયવદર રોડ પર રહેતા પ્રવિણભાઈ નરેશભાઈ જોષી (ઉ.વ.૩૫)એ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં અશોક લેલન્ડ ટેન્કર નં. જીજે-૦૩-વી ૮૪૯૩ના ચાલક વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતાના ફઈના દીકરાના લગ્ન મૂળી તાલુકાના નવાણિયા ખાતે હોવાથી આજે મામેરું હતું અને આવતીકાલે જાન જવાની હતી. જેથી પોતાના ભાઈ નીતિનભાઈ (ઉ.વ.૨૦) આજે સવારે અગિયારેક વાગ્યાના સુમારે મોટર સાઈકલ લઈને નવાણિયા જવા નિકળેલ હોય તે મોટર સાઈકલમાં બોટાદ પહોંચતા ટયૂબ ફાટી જતા બોટાદથી પોતાના બનેવી ગૌરાંગભાઈની હોન્ડા એસપી ૧૨૫ રજિ. નં. જીજે-૨૩-ડીજી ૯૭૭૫ લઈને નવાણિયા જવા નિકળ્યો હતો. તે વખતે પાળિયાદથી સાયલા રોડ પર રતનપર અને નાના છૈડા ગામ વચ્ચે પહોંચ્યો ત્યારે અશોક લેલન્ડ ટેન્કર નં. જીજે-૦૩-વી ૮૪૯૩ના ચાલકેે ટેન્કર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઈકને હડફેટે લેતા પોતાના ભાઈ નીતિનભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે આઘાત છવાયો છે.


Image

જેસરમાં મુરઘી લેવા આવેલા યુવક પરના હુમલામાં ઘાયલ યુવકનું મોત


પિતા-પુત્રે લાકડાના ધોકા અને ઢીકાપાટુથી આડેધડ માર માર્યો હતો 

સર ટી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન વીરપુરના યુવકે અંતિમ શ્વાસ લીધા ઃ પિતા-પુત્ર વિરૂદ્ધ હત્યાની કલમનો ઉમેરો 

ભાવનગર: જેસરના વીરપુર ગામેથી જેસરમાં મુરઘી લેવા આવેલા બે મિત્રને પિતા-પુત્રે લાકડાના ધોકા અને ઢીકાપાટુંથી આડેધડ માર મારતા વીરપુર ગામના યુવકને માથામાં હેમરેજની ઈજા થતાં તેને ગંભીર હાલતમાં ભાવનગરની સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકે અંતિમ શ્વાસ લીધા હતા. જેને લઈને આરોપી પિતા-પુત્ર વિરૂદ્ધ હત્યાની કલમનો ઉમેરો થશે.   

આ બનાવની પ્રાપ્ય વિગત અનુસાર જેસરના વીરપુર ગામે રહેતા ભગતભાઈ કાબાભાઈ મકવાણા (ઉ.વ.૩૭) અને તેમના મિત્ર જીતુભાઈ લખમણભાઈ ગોહિલ (ઉ.વ.૩૧) ગત તા.૧૯-૪ના રોજ સાંજના સમયે બાઈક લઈ જેસર ખાતે ત્રણ ખુણિયા વિસ્તારમાં આવેલી મસ્જિદ નજીક મુરઘી લેવા માટે આવ્યા હતા ત્યારે જીતુભાઈ ગોહિલને ઘના ખેરાળા નામના શખ્સ સાથે મુરઘી લેવા બાબતે સામાન્ય બોલાચાલી થતાં ઘના ખેરાળા અને તેના દિકરા કૌશિક ખેરાળા (રહે, બન્ને જેસર) નામના શખ્સોએ ઉશ્કેરાઈ જઈ બન્ને મિત્રને લાકડી અને ઢીકાપાટુંથી આડેધડ માર માર્યો હતો. જેથી બન્નેને સારવાર માટે જેસર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ત્યાં પ્રાથમિક સારવાર માટે ભગતભાઈને મોટા ખુંટવડા આસરાણા ચોકડી ખાતે આવેલ એસઓએસ હોસ્પિટલમાં દાખલ કરી માથાના ભાગે ૧૦ ટાંકા લેવામાં આવ્યા હતા. જ્યારે તેમના મિત્ર જીતુભાઈને રજા આપી દેવાયા બાદ બીજા દિવસે માથાના ભાગે દુઃખાવો થતાં જેસર બાદ ભાવનગર સર ટી.હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જીતુભાઈ લખમણભાઈ ગોહિલ (ઉ.વ.૩૧)એ અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે પિતા-પુત્ર વિરૂદ્ધ જેસર પોલીસમાં નોંધાવેલ ગુનામાં આઈપીસી કલમ ૩૦૨ અન્વયે હત્યાની કલમનો ઉમેરો થશે. 

Image

આધાર 2.0 કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવનારા આરોપીની સઘન પુછપરછ




બોગસ બિલિંગ કૌભાંડ મામલે સલીમ દૌલા પાસેથી મહત્વની કડીઓ મળશે?

આ ધરપકડથી આરોપી સાથે સાંઠગાંઠ ધરાવતા જીએસટીના અધિકારીઓ અને પૂર્વ અધિકારીઓની ચિંતા વધી

ભાવનગર: બોગસ બિલિંગ કૌભાંડમાં ભાવનગર સ્ટેટ જીએસટીને મોટી સફળતા મળી છે. આધાર ૨.૦ કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવનારા સલીમ દૌલાની ધરપકડ બાદ હાલ તે સાત દિવસના રિમાન્ડ પર છે. છેલ્લા બે માસ કરતા પણ વધારે સમયથી ફરાર આરોપી ઝડપાયા બાદ તેની પુછપરછમાં જીએસટી વિભાગને મહત્વની કડીઓ મળી શકે છે. હાલ આરોપી અમદાવાદમાં છે અને વિભાગ આરોપી પાસેથી પુરાવા અને બોગસ બિલિંગ કૌભાંડ મામલે મહત્વની માહિતી એકઠી કરવા માટે સઘન પુછપરછ કરી રહી છે. બીજી તરફ વેટ અને જીએસટીમાં મોટાપાયે ગેરરિતી આચરનારા સલીમ દૌલા સાથે ભૂતકાળમાં સાંઠગાંઠ ધરાવતા જીએસટીના અધિકારીઓ અને પૂર્વ અધિકારીઓની ચિંતા વધી છે.

દેશભરમાં બોગસ બિલિંગ કૌભાંડના એપી સેન્ટર રહેલા ભાવનગરમાં સ્ટેટ જીએસટી વિભાગે આધાર ૧.૦ અને આધાર ૨.૦ કૌભાંગ ઉજાગર કરી ભાવનગરમાં ચાલતા બોગસ બિલિંગના ધંધા પર કોરડો વિંઝ્યો હતો. પરંતુ કાયદાની છટકબારીનો ઉપયોગ કરી જામીન પર છુટી જઈ ફરી બોગસ બિલિંગના ગુનાને આરોપીઓ અંજામ આપતા હોવાથી જીએસટી વિભાગે બે કે તેથી વધારે કેસમાં સંડોવાયેલા આરોપી સામે શિકંજો કસવા ગુજસીટોકનું હથિયાર ઉગામી આવા આરોપીઓ પર લગામ લગાવી છે. બીજી તરફ બોગસ બિલિંગ કૌભાંડની તપાસની કડીમાં ભાવનગર સ્ટેટ જીએસટીને વધુ એક મોટી સફળતા મળી છે. ત્રણ દિવસ પૂર્વે આધાર ૨.૦ કૌભાંડ આચરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા અને વ્યવસાયે સીએ એવા બોગસ બિલિંગ કૌભાંડના આરોપી સલીમ દૌલાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને કોર્ટે તેના ૩૦મી એપ્રીલ સુધીના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે. આરોપી હાલ અમદાવાદ છે અને વિભાગ આરોપી પાસેથી પુરાવા અને બોગસ બિલિંગ કૌભાંડ મામલે દસ્તાવેજી અને ડિઝિટલ પુરાવા ઉપરાંત મહત્વની માહિતી એકઠી કરવા માટે સઘન પુછપરછ કરી રહી છે. છેલ્લા બે માસ કરતા પણ વધારે સમયથી ફરાર આરોપી ઝડપાયા બાદ તેની પુછપરછમાં જીએસટી વિભાગને મહત્વની કડીઓ મળી શકે છે. આરોપી વ્યવસાયે સીએ હતો અને વેટ અને જીએસટીમાં મોટા પાયે ગેરરિતી આચરી હોવાની શક્યતાના આધાર પર વિભાગ તપાસ ચલાવી રહ્યું છે. સલીમ દૌલાની ધરપકડ બાદ તેની સાથે ભૂતકાળમાં સાંઠગાંઠ ધરાવતા જીએસટીના અધિકારીઓ અને પૂર્વ અધિકારીઓની ચિંતા વધી છે કારણ કે પુછપરછમાં જો નામ ખુલ્યા તો અધિકારીઓ કે પૂર્વઅધિકારીઓએ વિભાગીય તપાસનો સામનો કરવો પડી શકે છે.

જીએસટીની કસ્ટડીમાંથી છટકવાના હવાતિયા

મંગળવારે સાંજે જીએસટી વિભાગની ટીમે સલીમ દૌલાને ઝડપી લીધાં બાદ સ્ટેટ જીએસટીની ઓફિસે લાવવામાં આવ્યો હતો. આસિફ દૌલા જેમ અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાથરૂમમાંથી નાસી છુટયો હતો તેવી જ રીતે સલીમ દૌલાને ભાવનગર સ્ટેટ જીએસટીની કચેરીએ લાવ્યા બાદ બાથરૂમના બહાને વોશરૂમમાં ગયો હતો અને અંદરથી સ્ટોપર બંધ કરી દઈ લાંબો સમય સુધી બહાર નહી નિકળતા અધિકારીઓએ દરવાજો તોડી તેને બહાર કાઢ્યો હતો. જીએસટીની કસ્ટડીમાંથી બચવા આરોપીએ હવાતિયા માર્યા હતા પરંતુ તેના આ નાટકિય પ્રયાસને અધિકારીઓએ નિષ્ફળ બનાવ્યો હતો.

કૌભાંડમાં સંકળાયેલા આરોપી પર ગુજસીટોકની લટકતી તલવાર

ભાવનગરમાં બોગસ બિલિંગ કૌભાંડ ઉજાગર થયાં પછી આ કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓ કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરી જામીન પર છૂટી જઈ ફરી બોગસ બિલિંગના ધંધામાં લાગી જતાં હોવાનું તપાસમાં ફલિત થતાં બે કે તેથી વધારે કેસમાં સંડોવાયેલા આરોપીઓ વિરૂદ્ધ ગુજસીટોકની કલમો લગાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૨૦ આરોપીઓ પર ગુજસીટોકની કલમો લાગી છે. હાલની સ્થિતિએ મહંમદ ટાટા, મહાવીર અને બીડીબાપુ નામના આરોપીઓ પર ગુજસીટોકની લટકતી તલવાર હોવાનું જાણવા મળ્યું છે.

Image

ભાવનગરમાં 400 થી વધુ દર્દી પાર્કિન્સન રોગની જાળમાં


- એપ્રિલ એ પાર્કિન્સન રોગની જાગૃતિ ફેલાવવાનો મહિનો

- માત્ર હાથની ધૂ્રજારી જ તેનું લક્ષણ નથી કબજિયાત, મૂડમાં ફેરફાર પણ આ રોગના લક્ષણો હોઇ શકે છે

ભાવનગર : સામાન્ય રીતે ૧૧ એપ્રિલને વિશ્વ પાર્કિન્સન દિવસ તરીકે ઉજવાય છે. તો સાથો સાથ આખા એપ્રિલ મહિનાને જાગૃતિ માટે ઉજવાય છે. વિશ્વમાં ૧ કરોડ, ભારતમાં ૧૦ લાખ અને ભાવનગરમાં ૪૦૦થી વધુ દર્દી આ રોગમાં સપડાયા છે. ગુજરાતભરમાં માત્ર ભાવનગરને ૨૦૧૩ પ્રથમ કેન્દ્ર પીએનઆરમાં અપાયું છે અને ૫૦૦ જેટલા સેશન થયા છે.

પાર્કિન્સન રોગ એટલે ખાલી હાથની ધુ્રજારી જ નથી પાર્કિન્સન રોગ ધુ્રજારીથી ઘણું વધારે છે. એક સંશોધન મુજબ વિશ્વમાં અત્યારે ૧ કરોડથી પણ વધુ લોકો, જ્યારે ભારત દેશમાં ૧૦ લાખથી વધુ લોકો આ રોગથી પીડાય છે. ૧૧ એપ્રિલને વિશ્વ પાર્કિન્સન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આમ તો આખા એપ્રિલ મહિના દરમિયાન વિશ્વમાં આ રોગ માટે કામ કરતી સંસ્થાઓ રોગ વિષે જાગૃતિ ફેલાવવા જુદા જુદા કાર્યક્રમો યોજતી હોય છે. એપ્રિલ મહિનો આપણને પાર્કિન્સન રોગ વિષેની જાગૃતિ ફેલાવવા માટેની તક આપે છે. પાર્કિન્સન રોગ ડિજનરેટિવ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આપણા શરીરને ઉપયોગી એવું એક મગજનું રસાયણ- ડોપામાઇન ને રિલીઝ કરતા મગજના કોષો અમુક કારણસર નાશ પામવાના કારણે શરીરના જુદા જુદા અવયવોને અસર કરે છે. આ રોગના લક્ષણોને મુખ્યત્વે બે ભાગમાં જુદા પડી શકાય છે. (હલનચલનને લગતા) લક્ષણો કે જેમાં ધુ્રજારી, સ્નાયુમાં જકડન, હલન ચલન ધીમી થવી, સમતોલનમાં તકલીફ થવી નો સમાવેશ થાય છે. બીજા પ્રકારના લક્ષણો જેમાં કબજિયાત, વિચાર શક્તિ અને મૂડમાં ફેરફાર થવો, સેક્સુઅલ પ્રોબ્લેમ્સ, દુખાવો, ઉંઘમાં તકલીફ થવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. આ રોગ મોટાભાગે ૫૦ વર્ષથી ઉપરકના લોકોમાં જોવા મળે છે. પરંતુ યુવાનોમાં પણ આ રોગ થઇ શકે છે. જેને યંગ ઓનસેટ પાર્કિન્સન રોગ કહેવાય છે. પાર્કિન્સનના દર્દીઓ અને તેમના પરિવારજન માટે નિઃશુલ્ક સેવા (બળવંત કે પારેખ પાર્કિન્શનસ ડિસીઝ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી) આપે છે. જેમાં નિષ્ણાંતો દ્વારા ફિઝિઓથેરાપી, સ્પીચ થેરાપી, કોગ્નિટ્ટીવ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સાયકોલોજિકલ કાઉન્સેલિંગ, આહારને પોષણ તેમજ આર્ટ ક્રાફ્ટ અને ડાન્સના સેશનો દર્દીને ગુ્રપ થેરાપી અપાય છે. પીએનઆર સોસાયટી સાથે મળીને જુલાઇ ૨૦૧૩માં ગુજરાતનું સર્વ પ્રથમ કેન્દ્ર ભાવનગરમાં શરૂ કર્યું. ભાવનગરમાં પાર્કિન્સનના દર્દીઓ આ સેવાનો છેલ્લા ૧૦ વર્ષથી લાભ લઇ રહ્યા છે. આ સેશન દર રવિવારે સવારે ૧૦.૩૦ કલાકે અંધ ઉદ્યોગ શાળા, પીએનઆર સોસાયટી પર લેવામાં આવે છે. આજ સુધી ભાવનગરના ૪૦૦થી વધુ દર્દીઓ અને સગાવહાલાઓ આ સેવાનો લાભ લીધો છે. અત્યાર સુધીમાં ૫૦૦ થી પણ વધુ સેશન થયા છે. ભાવનગરમાં દર ગુરૂવારે સાંજે ૫ વાગે અને મહુવામાં બીજા ને ચોથા શનિવારે સાંજે ૪ કલાકે ત્રિવેણીમા ગાંધી ટ્રસ્ટ પર આપવામાં આવે છે. પાર્કિન્સન રોગ વિશે જાગૃતિ વધારવી એ માત્ર તેના પડકારોને ઓળખવા માટે નથી, તે તેનાથી પ્રભાવિત લોકોની હિંમત અને સિદ્ધિઓની ઉજવણી વિશે પણ છે.

Image

ધંધુકા-લીંબડી રોડ પર બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત


- ભાવનગર પાસીંગની કાર ખાળિયામાં ઉતરી ઝાડ સાથે અથડાઈ

- બે વ્યક્તિને ગંભીર ઈજા, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા

ધંધુકા : ધંધુકા-લીંબડી રોડ પર વાસણા ગામ નજીક બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બલાળા ગામના આધેડનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.

બનાવની મળતી પ્રાથમિક વિગત અનુસાર અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધંધુકાથી લીંબડી તરફ જવાના રસ્તા પર વાસણા ગામ નજીક ભાવનગર પાસીંગની કાર નં.જીજે.૦૪.સીજે.૯૯૮૬ અને બાઈક નં.જીજે.૧૩.જેજે.૩૪૮૮ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જતા બાઈકચાલક પ્રતાપસિંહ શિવુભા જાદવ (ઉ.વ.૪૯, રહે, બલાળા, તા.ચુડા, જિ.સુરેન્દ્રનગર) નામના આધેડને ગંભીર ઈજા થતાં અમદાવાદ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રતાપસિંહ જાદવનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની ઘટના બાદ કાર રોડથી નીચે ખાળિયામાં ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી. વધુમાં બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિને ગંભીર અને અન્ય લોકોને સામાન્ય ઈજા થઈ હતી. જે ઈજાગ્રસ્તો અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે તેમ સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું.

Image

ભાવનગર સંસદીય મત વિસ્તારમાં 19.16 લાખ મતદારો મતદાન કરશે


- લોકસભા ચૂંટણીમાં આગામી 8 મી મેના રોજ મતદાન 

- ભાવનગર જિલ્લાની 5 વિધાનસભા સીટના 13.62 લાખ અને બોટાદ જિલ્લાની બે વિધાનસભા સીટના 5.54 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

ભાવનગર : ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે આગામી તા. ૭મી મેના રોજ મતદાન થનાર છે ત્યારે ભાવનગર સંસદીય મત વિસ્તારના ૧૯,૧૬,૯૦૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ભાવનગર જિલ્લાની પાંચ વિધાનસભા સીટ અને બોટાદ જિલ્લાની બે વિધાનસભા સીટના ૫.૫૪ લાખ મતદારો મતદાન કરશે.  

ભાવનગર સંસદીય મત વિભાગમાં કુલ સાત વિધાનસભા મત વિભાગોનો સમાવેશ થાય છે. જેમાં ભાવનગર જિલ્લાના તળાજા, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ સહિત પાંચ વિધાનસભા મત વિભાગનો જ્યારે બોટાદ જિલ્લાના ગઢડા અને બોટાદ એમ બે વિધાનસભા મત વિભાગનો સમાવેશ થાય છે. 

આ તમામ સાત વિધાનસભા મત વિભાગોમાં ૯,૯૩,૯૨૦ પુરૂષ મતદાર અને ૯,૨૨,૯૪૦ મહિલા મતદાર સહિત કુલ ૧૯,૧૬,૯૦૦ મતદાર છે. જેમાં ભાવનગર જિલ્લાના પાંચ મત વિભાગમાં ૭,૦૫,૦૯૪ પુરૂષ મતદાર જ્યારે ૬,૫૭,૫૦૭ મહિલા મતદાર છે. આમ, કુલ મળીને ૧૩,૬૨, ૬૩૫ મતદાર છે. જ્યારે બોટાદ જિલ્લાના બંને મત વિભાગમાં ૨,૮૮,૮૨૬ પુરૂષ મતદાર જ્યારે ૨,૬૫,૪૩૩ મહિલા મતદાર છે. આમ, કુલ મળીને ૫,૫૪,૨૬૫ મતદાર છે. 

 લોકસભા ચૂંટણી માટે દેશમાં સાત તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં ભાવનગર સહિત ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કામાં આગામી તા. ૭ મેના રોજ મતદાન થશે. જે અંતર્ગત ભાવનગર સંસદીય મત વિભાગમાં ૧૯,૧૬,૯૦૦ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું મહાપર્વ ઉજવશે. 

Image

સરકારની તિજોરી છલકાઈ : ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગે રૂ. 2327.16 કરોડની કમાણી કરી


- સ્ટેટ જીએસટીએ નાણાંકીય વર્ષ 2022-23 કરતા 2023-24 માં રૂ. 210.99 કરોડ વધારે આવક કરી

- સ્ટેટ જીએસટી વિભાગને શરૂ નાણાંકીય વર્ષનાં ફેબુ્રઆરી-2024 માં સૌથી વધારે રૂ. 137.03 કરોડની આવક તથા ઓગસ્ટ-2023 માં સૌથી ઓછી 157.83 કરોડની આવક થઈ

ભાવનગર : ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગે સરકારને શરૂ નાણાંકીય વર્ષમાં બમ્પર કમાણી કરી આપી છે. ૨૦૨૩-૨૪ દરમિયાન સ્ટેટ જીએસટી ભાવનગરને જુદાં-જુદાં ટેક્સ સ્વરૂપે રૂ.૨૩૨૭ કરોડની આવક થઈ છે. બોગસ બિલિંગ કૌભાંડની પરિસ્થિતિ વચ્ચે પણ ટેક્સ સ્વરૂપે ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગે સારું પ્રદર્શન કરતા સારી આવક મેળવી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન રૂ.૨૧૧૬.૧૭ કરોડની આવક થઈ હતી. જે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૨૧૦.૯૯ કરોડથી વધીને રૂ.૨૩૨૭.૧૬ કરોડ થઈ છે. જીએસટી વિભાગને શરૂ નાણાંકીય વર્ષનાં  ફેબુ્રઆરી-૨૦૨૪માં સૌથી વધારે રૂ.૨૩૭.૦૩ કરોડની આવક તથા ઓગસ્ટ-૨૦૨૩માં સૌથી ઓછી ૧૫૭.૮૩ કરોડની આવક થઈ છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગને જુદાં-જુદાં ટેક્સ સ્વરૂપે રૂ.૨૩૨૭ કરોડની આવક થઈ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ શરૂ નાણાંકીય વર્ષમાં રૂ.૨૧૦.૯૯ કરોડ વધારે આવક થઈ છે. વર્ષ ૨૦૨૨-૨૩ના હિસાબી વર્ષમાં રૂ.૨૧૧૬.૧૭ કરોડની આવક થઈ હતી. આ બંને નાણાંકીય વર્ષ દરમિયાન ભાવનગરમાં બોગસ બિલિંગના કૌભાંડ ઉજાગર થયાં હતા અને તેના કારણે આ સમયગાળા દરમિયાન સ્ટેટ જીએસટી વિભાગ દરેક બાબતમાં સખ્ત હતું. સ્ટેટ જીએસટી વિભાગે ટેક્સ અને દંડ સ્વરૂપે આ આવક કરી છે. ગત નાણાંકીય વર્ષની સરખામણીએ ભાવનગરમાં આ વર્ષે ૯.૯૭ ટકા વધારે જીએસટી કલેક્શન થયું છે. ૨૦૨૨-૨૩ દરમિયાન જાન્યુઆરી-૨૦૨૩માં સૌથી વધારે રૂ.૨૧૫.૦૧ કરોડનું ટેક્સ કલેક્શન અને સૌથી ઓછું ઓગસ્ટ-૨૦૨૨માં રૂ.૧૩૪.૪૦ કરોડ જીએસટી કલેક્શન થયું હતું. તેમજ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ફેબુ્રઆરી-૨૦૨૪માં સૌથી વધારે રૂ.૨૩૭.૦૩ કરોડની આવક તથા ઓગસ્ટ-૨૦૨૩માં સૌથી ઓછી ૧૫૭.૮૩ કરોડની આવક થઈ છે. જીએસટી વિભાગે પત્રક કરદારોને અંકુશમાં લાવવાના પ્રયત્ન કર્યો છે. કરદાતા સમયસર ટેક્સ ચુકવે તેવો વિભાગનો આગ્રહ રહ્યો છે અને આગામી નાણાંકીય વર્ષમાં પણ આ જ પ્રકારની કામગીરી રહેશે. જીએસટી ઉપરાંત વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ) કલેક્શન પણ નોંધપાત્ર થયું છે. ગુજરાતમાં પેટ્રોલ, ડિઝલ અને પરમિટવાળા દારૂના વેચાણ પર વેટ વસૂલવામાં આવે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં વેટ કલેક્શન રૂ.૪૮.૫૨ કરોડ રહ્યું છે. ભાવનગરમાં છેલ્લા ૩ નાણાંકીય વર્ષ દરમિયાન જીએસટી કલેક્શન સતત વધી રહ્યું છે. ભાવનગરમાં જીએસટી કલેક્શન મામલે સેન્ટ્રલ જીએસટી કરતા સ્ટેટ જીએસટી આગળ રહ્યું છે.

(બોક્સ)

સેન્ટ્રલ જીએસટી કલેક્શન રૂ.1922 કરોડ થયું

ભાવનગર સેન્ટ્રલ જીએસટીએ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ ૨૦૨૩-૨૪માં રૂ. ૬ કરોડ વધારે જીએસટી કલેક્શન કર્યું છે. સેન્ટ્રલ જીએસટીએ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૧૯૧૬ કરોડ અને નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૧૯૨૨ કરોડ જીએસટી કલેક્શન કર્યું છે.

નાણાંકીય વર્ષ 2023-24 નું જીએસટી કલેક્શન

માસ

કલેક્શન (રૂ. કરોડમાં)

એપ્રીલ

૨૦૯.૭૬

મે

૧૯૩.૮૬

જુન

૧૯૪.૩૮

જુલાઈ

૧૬૯.૨૫

ઓગસ્ટ

૧૫૭.૮૩

સપ્ટેમ્બર

૧૯૧.૫૭

ઓક્ટોબર

૧૭૨.૨૫

નવેમ્બર

૨૦૫.૮૧

ડિસેમ્બર

૧૬૩.૬૭

જાન્યુઆરી

૨૩૭.૦૩

ફેબુ્રઆરી

૨૧૬.૯૯

માર્ચ

૨૧૪.૭૮

કુલ

૨૩૨૭.૧૬

Image

ગ્રીષ્મકાલીન વેકેશન દરમિયાન સૌરાષ્ટ્રના પર્યટન ઉદ્યોગમાં તેજી


- યાત્રિકોની નોંધણી બમણી થતા ટુર ઓપરેટર્સમાં ઉત્સાહ વધ્યો

- એપ્રિલના અંત અને મે માસ દરમિયાન પર્યટન ઉદ્યોગ સંલગ્ન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સતત વ્યસ્ત રહેશે

ભાવનગર : ગોહિલવાડની શૈક્ષણિક સંસ્થાઓમાં વાર્ષિક પરીક્ષાઓ પુર્ણ થતાની સાથે જ વાલીઓ તેમના સંતાનોને અભ્યાસક્રમના ભારમાંથી મુકિત સાથે રીલેકસ થાય તેવા ઉમદા આશયથી પ્રારંભીક તબકકામાં મામા, માસી, કાકા સહિત પરિવારજનોના ઘેર વેકેશન માણવા માટે મોકલી દેતા હોય છે. જયારે કેટલાક વાલીઓમાં સંતાનો સાથે સૌરાષ્ટ્ર સહિત રાજયભરના ઐતિહાસિક યાત્રાધામોના દર્શનાર્થે કે, પ્રાકૃતિક સ્થળોએ ફરવા જવા નિકળી જવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરમીના માહોલમાં વેકેશનને અનુલક્ષીને સ્થાનિક પર્યટન ઉદ્યોગમાં ફૂલગુલાબી તેજી જોવા મળી રહેલ છે. 

સામાન્ય રીતે ભાવનગર તેમજ બોટાદ શહેર અને જિલ્લામાંથી ઉનાળુ તેમજ દિવાળી વેકેશન તેમજ શ્રાવણ માસ દરમિયાન સરકારી અને ખાનગી એકમોના કર્મચારીઓ સી.એલ., એલ.ટી.સી., જાહેર રજા, શનિ, રવિવારના એડજસ્ટમેન્ટ સાથે વાલીઓ, યુવાનો તેમના સમવયસ્ક મિત્રવર્તુળ સાથે કે પરિવારજનો સાથે એકથી લઈને પાંચથી છ દિવસીય મીની ટુરના વીકેન્ડમાં આયોજનો એકાદ બે માસ અગાઉથી ગોઠવાઈ જતા હોય છે.આ ઉપરાંત અન્યો દ્વારા અનુકુળતા મુજબ મીની ટુરના આયોજનો થતા રહેતા હોય પર્યટન ઉદ્યોગમાં તેજી રહેતી હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળુ વેકેશનમાં ગોહિલવાડમાંથી અસંખ્ય નવયુગલો,કોલેજીયન્સ યુવાનોમાં આબુ, અંબાજી, સોમનાથ, દ્વારકા,પાવાગઢ, આશાપુરા, તુલસીશ્યામ, પોઈચાધામ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત મહારાષ્ટ્રના સુપ્રસિધ્ધ પર્યટન સ્થળોએ જવા માટે સ્થાનિક ૨૦ થી વધુ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટો અને ઓપરેટર્સ તેમજ એસ.ટી. અને રેલવેમાં એક માસ એડવાન્સમાં બુકીંગ થઈ ચૂકયા છે. આ સાથે ભાવનગર ટર્મિનસથી ઉપડતી બાન્દ્રાની રૂટીન અને વેકેશન સ્પેશ્યલ ટ્રીપમાં આગામી પખવાડીયા સુધીનું વેઈટીંગ હોવાનું ઓનલાઈન માધ્યમથી જાણવા મળેલ છે. આ ઉપરાંત આસનસોલ, દ્વારકા, નાથદ્વારા, હરિદ્વાર સહિતની ટ્રેનના બુકીંગ ફૂલ થઈ રહ્યા છે.  કેટલીક ટ્રેનમાં કન્ફર્મ ટીકીટ મળવી પણ મુશ્કેલ જણાઈ રહેલ છે. સૌરાષ્ટ્રની લાંબા અંતરની ટ્રેનોમાં ૧૦૦ થી વધુ વેઈટીંગ હોય આથી ટ્રેનના જનરલ કોચમાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

હરિદ્વારમાં કથા સાથે ફરવાનો ક્રેઝ વધ્યો

વેકેશનમાં હરિદ્વાર અને ઋુષિકેશ સહિતના સ્થળોએ ગંગાસ્નાન સાથે કથાકારોના જ્ઞાનયજ્ઞાના આયોજનો ઘડાયા હોય કથામૃતના રસપાન કરવા સાથે ફરવા જવાનો સિનીયર સિટીઝનોમાં ખાસ કરીને યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ માટે હવે તો કેટલાક ટુર ઓપરેટર્સની સાથોસાથ કથાકારો, ધર્મસ્થાનકો અને સંપ્રદાયોના અનુયાયીઓ દ્વારા પણ કથા સાથેના વિશિષ્ટ પેકેજની પણ ભાવિકોને ઓફર કરાય છે.

Image

ભાવનગરમાં એક મહીનામાં 325 જેટલી પાણીની ફરિયાદ


- ઉનાળાની ગરમીમાં શહેરના કેટલાક વિસ્તારમાં પાણીનો પોકાર

- મનપાના વોટર વર્કસ વિભાગમાં રોજ 10 થી 12 પાણી સમસ્યાની ફરિયાદ આવતા તંત્રની દોડધામ વધી, પાણી ઓછુ આવી રહ્યુ છે, સમયસર પાણી આવતુ નથી સહિતની ફરિયાદ 

ભાવનગર : ઉનાળાની ગરમીમાં પાણી સમસ્યા વધુ જોવા મળતી હોય છે તેથી ઉનાળામાં સરકારી તંત્રને દોડધામ વધી જતી હોય છે, આવુ જ ચિત્ર હાલ ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગમાં જોવા મળી રહ્યુ છે. વોટર વર્કસ વિભાગમાં છેલ્લા એક માસથી પાણીની ફરિયાદ વધી છે, જેના કારણે વોટર વર્કસ વિભાગના સ્ટાફની કામગીરી વધી ગઈ છે. ઉનાળામાં પાણી માંગ વધતા દર વર્ષે પાણી પ્રશ્ન જોવા મળતો હોય છે. 

ભાવનગર શહેરમાં છેલ્લા એક માસથી ઉનાળાની આકરી ગરમી પડી રહી છે અને ગરમી વધતા પાણીનો પોકાર શરૂ થઈ જતો હોય છે. શહેરમાં રોજ પીવાના પાણીની ૧૦થી ૧ર ફરિયાદ વોટર વર્કસ વિભાગને મળી રહી છે. છેલ્લા એક માસમાં આશરે ૩રપ જેટલી પાણીની ફરિયાદ તંત્રને મળી છે અને તંત્ર દ્વારા પાણી પ્રશ્ન હલ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાણી ઓછુ આવી રહ્યુ છે, સમયસર પાણી આવતુ નથી સહિતની ફરિયાદ તંત્રને મળતી હોય છે તેથી તંત્ર દ્વારા સ્થળ પર જઈ તપાસ કરવામાં આવે છે અને પ્રશ્ન હલ કરવા પ્રયત્ન કરવામાં આવતા હોય છે. ઘણી સમસ્યા હલ થઈ જતી હોય છે, જયારે કેટલીક સમસ્યા હલ ના થતી હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. ઉનાળામાં પાણીનો વપરાશ વધી જતો હોય છે તેથી પાણી વગર લોકોને ચાલતુ નથી પરંતુ ઉનાળામાં જ પાણી ઓછુ આવતા લોકોમાં કચવાટ ફેલાતો હોય છે. 

પાણી સમસ્યા ના સર્જાય તે માટે તંત્ર દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે પરંતુ તેમ છતા થોડી થોડી પાણીની ફરિયાદ રહેતી જ હોય છે. ભાજપ અને કોંગ્રેસના કેટલાક નગરસેવકો દ્વારા પણ પાણીની ફરિયાદ કરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે, જેના પગલે તંત્રની દોડધામ વધતી હોય છે. છેવાડા વિસ્તારમાં પાણી સમસ્યા વધુ હોય છે તેથી આ લોકોની મૂશ્કેલી વધી જતી હોય છે. પાણી પ્રશ્ન તત્કાલ હલ કરી લોકોને પુરતુ પાણી મળે તેવુ મનપાએ આયોજન કરવુ જરૂરી છે. 

પાણી અંગેની વ્યકિતગત ફરિયાદ વધુ આવે છે : અધિકારી 

ભાવનગર શહેરમાં પાણી સમસ્યા અંગેની ફરિયાદ વધતા લોકોની પરેશાની વધી છે. આ અંગે મનપાના વોટર વર્કસ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, પાણી અંગેની વ્યકિતગત ફરિયાદ વધુ આવે છે તેથી સ્ટાફને સ્થળ પર મોકલી સમસ્યા હલ કરવામાં આવતી હોય છે. આખા વિસ્તારમાં પાણી ના આવતુ હોય તેવી ફરિયાદ નથી. અત્યાર સુધીમાં આવેલ મોટાભાગની ફરિયાદોનો નિકાલ કરવામાં આવેલ છે. 

પીવાના પાણીનો હાલ પુરતો જથ્થો હોવાથી થોડી રાહત 

ભાવનગર શહેરને બોરતળાવ, શેત્રુંજી ડેમ, મહીપરીએજ વગેરેમાંથી પીવાનુ પાણી આપવામાં આવી રહ્યુ છે પરંતુ હાલ તમામ તળાવ-જળાશયોમાં પુરતુ પાણી છે તેથી પાણી ઘટ પડે તેવુ નથી. પીવાના પાણીનો હાલ પુરતો જથ્થો હોવાથી તંત્ર અને લોકોને રાહત છે પરંતુ આયોજનના અભાવે પાણી સમસ્યા સર્જાતી હોય છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. પાણીનો પુરતો જથ્થો હોય પાણી પ્રેસરથી આપવુ જરૂરી છે તેમ જાગૃત નાગરીકો જણાવી રહ્યા છે.  

Image

સિહોરના વડીયા ગામ નજીકની રોલિંગ મીલમાં આગ ભભૂકી


- મોડી રાતે ભઠ્ઠીનો લાવા બહાર  પડવાથી આગ લાગી

- સિહોર નગરપાલિકાના ફાયર વિભાગે 2500 લીટર પાણીનો છંટકાવ કરી આગ કાબૂમાં લીધી

સિહોર : સિહોરના વડીયા ગામ પાસે આવેલી રોલિંગ મીલમાં ગત મોડી રાતે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ભઠ્ઠીનો લાવા બહાર પડવાથી આગ લાગી હતી જેને સિહોર નગરપાલિકાના ફાયર સ્ટાફે આશરે દોઢ કલાકની જહેમત બાદ કાબૂમાં લીધી હતી.

સિહોર તાલુકાના વડીયા ગામ પાસે આવેલી રાજ ઈસ્પાત ફેક્ટરીમાં ગત મોડી રાતે આશરે ૧૨ વાગ્યાના અરસામાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. ફેક્ટરીની ભઠ્ઠીનો લાવા અચાનક ભંગાર પર પડવાથી આ આગ લાગી હતી. ફેક્ટરીમાં રહેલા ભંગારના લીધે ખુબ મોટી આગ પકડી લેતા આ અંગેની જાણ સિહોર ફાયર વિભાગને કરવામાં આવતા સિહોર ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયર વિભાગે ૨૫૦૦ લીટર પાણીનો છંટકાવ કરી એકથી દોઢ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. મોડી રાતે લાગેલી આ આગમાં સદ્નસીબે કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન થયાના અહેવાલ નથી.

Image

આધાર 2.0 બોગસ બિલિંગ કૌભાંડમાં બે માસ બાદ ફરાર આરોપી ઝડપાયો


- કૌભાંડ ઉજાગર થયા બાદ ભાવનગરનો શખ્સ લાંબા સમયથી ફરાર હતો

- સ્ટેટ જીએસટીની ટીમે ભાવનગર આવી સોમવારે મોડી રાત્રે સલીમ દૌલાની ધરપકડ કરી, 30 મી સુધી રિમાન્ડ પર

ભાવનગર : સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓની એક ટીમ ગઈકાલે તપાસઅર્થે ભાવનગર આવી હતી. ક્રેસન્ટ વિસ્તારમાં ખાનગી રીતે આવેલી સ્ટેટ જીએસટી વિભાગની ટીમે સાંજના સમયે આધાર ૨.૦ કૌભાંડ સાથે જોડાયેલા આરોપી સલીમને ઝડપી લીધો છે. આધાર ૨.૦ કૌભાંડ ઉજાગર થયાંના બે મહિના બાદ સ્ટેટ જીએસટી વિભાગને મોટી સફળતા મળી છે. લાંબા સમયથી ફરાર આરોપી ભાવનગરમાં હોવાના બાતમીના આધારે અચાનક સ્ટેટ જીએસટી વિભાગની ટીમે ભાવનગરના સ્થાનિક અધિકારીઓને સાથે રાખીને તાપસ કરી આરોપીને અમદાવાદ લઈ ગઈ હતી.

ભાવનગર શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે સ્ટેટ જીએસટી વિભાગની એક ટીમ સ્થાનિક અધિકારીઓને સાથે રાખી તપાસઅર્થે આવી હતી. સ્ટેટ જીએસટી દ્વારા ભાવનગરમાં ચાલતા બોગસ બિલિંગના આધાર ૧.૦ અને આધાર ૨.૦ એમ બે કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યા હતા. જેમાં આધાર ૨.૦માં પાંચ આરોપીઓની ધરપકડ થઈ હતી. આધાર ૨.૦ ઉજાગર થયાના આશરે બે મહિના બાદ સ્ટેટ જીએસટી વિભાગને મોટી સફળતા મળી છે. આમાં સંડોવાયેલા સલીમ દૌલા લાંબા સમયથી ફરાર હતો. જે ભાવનગર હોવાની બાતમીના આધારે સ્ટેટ જીએસટી વિભાગની ટીમે સોમવારે સાંજે ક્રેસન્ટ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. સ્ટેટ જીએસટી વિભાગના સ્થાનિક અધિકારીઓને સાથે રાખીને આવેલી ટીમે ક્રેસન્ટ વિસ્તારમાં સાંજના સમયે ઘર અને આરોપીને શોધવાની કવાયત આદરી હતી અને મોડી સાંજે સલીમ દૌલાને ઝડપી અમદાવાદ લઈ જવાયો હોવાનું જાણવા મળ્યું છે. જીએસટી વિભાગ દ્વારા આરોપીને અમદાવાદ લઈ જઈ રિમાન્ડની તજવીજ હાથ ધરતા સલીમ દૌલાના ૩૦ તારીખ સુધીના રિમાન્ડ મંજુર થયાં છે. આરોપીના રિમાન્ડમાં આગામી દિવસોમાં કોઈ નવા ખુલાસા થાય તો નવાઈ નહી.

બોગસ બિલિંગ કૌભાંડ અને તપાસનું કેન્દ્ર બદલાયું

બોગસ બિલિંગ કૌભાંડ મુદ્દે ભાવનગર દેશભરમાં ચર્ચામાં આવ્યું છે. આ કૌભાંડ ઉજાગર થયાં બાદ તંત્રની આકરી કાર્યવાહીથી બચવા માટે કૌભાંડ આચરનારાઓ ભૂગર્ભમાં ઉતરી ગયાં બાદ હવે તેમના બદ્ઈરાદાઓ અન્ય શહેરોમાંથી અંજામ આપતા હોવાની ચર્ચા છે. બીજી તરફ આ સમગ્ર કૌભાંડની તપાસ અને તે અંગેના નિર્ણયો પણ અમદાવાદથી જ થતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Contact Us

Contact Form